Balmela and Life Skill Balmela(બાળમેળા અને લાઈફસ્કીલ મેળા)
આજના આધુનિક યુગમાં શિક્ષણના નુતન પ્રવાહો તેમજ ટેકનોલૉજીના યુગમાં Life Skill Developmentની નૂતન સંકલ્પનાને સાકાર કરવા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગરતેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,પાટણ દ્વારા બાળમેળા અને લાઈફસ્કીલ મેળાનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવે છે. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવામાં તેમજ તેમની સર્જનાત્મક શક્તિઓને વિકસાવવા માટે બાળમેળો ખુબ જ ઉપયોગી બની રહે છે.
વર્ગખંડમાં બાળક ઘણુંબધુ શીખે છે, પરંતુ બાળમેળા દ્વારા બાળક પોતાની શક્તિઓને બહાર લાવી કંઇક નવું કરવાનો, બનાવવાનો આનંદ માણે છે. આ સાથે બાળકમાં “મેં કંઈક નવુ બનાવ્યું, શીખ્યું” તેનો આનંદ તેને જે મળે છે, તે તેના જીવનભરની યાદ બની રહે છે. બાળકોના સર્વાંગી વિકાસ તેમજ તેના જીવન ઘડતર માટે ‘બાળમેળો’ એ પાયાના પગથિયા સમાન છે. બાળકોમાં ભણતર સાથે જીવન જરૂરિયતમાં ઉપયોગી બની રહે તેવા જીવન કૌશલ્યો વિકસાવી શકાય છે. પોતાના સહાધ્યાયી મિત્રો સાથે અવનવી પ્રવૃતિઓમાં સહભાગી થવાની અનેરી અનુભૂતિ મળે છે.
બાળમેળા દરમ્યાન કરવામાં આવતી અવનવી પ્રવૃતિઓ દ્વારા તેમના આત્મવિશ્વાસ પણ વધે છે, તેમજ આ પ્રવૃતિઓ કરવામાં બાળકોના ચહેરા પર જે આનંદ વ્યતીત થાય છે તે જોઇને બાળમેળાની સંકલ્પના સાચા અર્થમાં સાકાર થઈ જાય છે. બાળમેળાનો દિવસ એટલે બાળકોનો આનંદ-ઉત્સાહનો અનેરો દિવસ.આ દિવસે બાળકોને પોતાની મનગમતી પ્રવૃત્તિ સાથે જ્ઞાન મેળવવાનો દિવસ.આ દિવસે બાળકો પોતાની કુશળતા અનોખી અને આગવી રીતે પ્રસ્તુત કરી શકે છે.બાળમેળો એટલે કે એવો મેળો કે જેમાં બાળકો પોતાની માનસિક,શારીરિક અને સાંવેગિક ક્ષમતાઓને ખીલવે છે. રોજિંદા જીવનમાં કૌશલ્યનો ઉપયોગ કરતા શીખે છે.
પાટણ જીલ્લામાં જીવન કૌશલ્ય આધારિત ધોરણ ૧ થી ૫ના બાળકોનો બાળમેળો તારીખ-5-01-2022ના રોજ યોજવામાં આવ્યો હતો.જેમાં સમગ્ર જિલ્લાની તમામ શાળાઓના શિક્ષકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ધોરણ ૧ થી ૮માં બાળમેળાના અને લાઈફસ્કીલ મેળાનાં હેતુઓ :
- બાળકોમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે છે.
- બાળકો જીવનવ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય.
- બાળકોની ક્રિયાશીલતા અને જિજ્ઞાષા પોષાય છે.
- બાળકો રોજિંદા જીવનમાં પડકારોને હકારાત્મકતાથી સ્વીકારી કુશળતા પૂર્વક ઉકેલાતા શીખશે.
- બાળકોની શારીરિક,માનસિક,સામાજિક અને સાવેગિક ક્ષમતાઓ ઉજાગર થશે.
- બાળકો જીવનને ઉલ્લાસમય અને ઉદ્યમી બનાવતા શીખશે.
- બાળકોમાં સ્વાવલંબન અને ચોક્કસાઈનો ગુણ વિકસશે.
- બાળકોમાં આત્મવિશ્વાસ,આત્મસૂઝ અને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ ખીલશે.
- બાળકોની વિચારશક્તિ,અવલોકનશક્તિ અને વર્ણનશક્તિ પ્રદર્શિત થશે.
- બાળકોમાં સંઘ ભાવના વિકસશે.
- બાળકો હસ્ત કળા દ્વારા અવનવી કૃતિઓનું સર્જન કરશે.
- બાળકો નિત નવી સંશોધન કરવાનો આગ્રહ રાખશે.
- બાળકોમાં વિચારોનું આદાનપ્રદાન સરળતાથી થશે.
- બાળકો નવા યુગ સાથે કદમ મિલાવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
લાભાર્થી :
- બાળમેળા માટે ધોરણ ૧ થી ૫ નાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ
- લાઈફસ્કીલ મેળા માટે ધોરણ ૬ થી ૮ નાં ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામવિદ્યાર્થીઓ
બાળમેળાના અને લાઈફસ્કીલ મેળાનું આયોજન
- બાળમેળાના અને લાઈફસ્કીલ મેળાનું આયોજન કરતા પહેલા સૌ પ્રથમ બાળમેળા તાલીમનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળમેળાના અને લાઈફસ્કીલ મેળાની શાળા ક્ક્ષાએ શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરાવતાં શિક્ષકશ્રીઓ દ્વારા તાલીમાર્થી શિક્ષકોને વાકેફ કરે છે અને બાળમેળાના અને લાઈફસ્કીલ મેળામાં કેવા પ્રકારની પ્રવૃત્તિ કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવે છે.
- આ પ્રકારનાં તાલીમ વર્ગમાં સી.આર.સી. દીઠ એક શિક્ષકને માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી તેમના દ્વારા પોતાના ક્લસ્ટરની તમામ શાળાઓને વાકેફ કરી શકાય. આવી રીતે બાળમેળાના અને લાઈફસ્કીલ મેળાનો જિલ્લામાં પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. ત્યાર બાદ સમગ્ર જીલ્લામાં એક દિવસ નક્કી કરીને જીલ્લાની તમામ શાળાઓમાં બાળમેળાના અને લાઈફસ્કીલ મેળાનું આયોજન કરવામાં આવે છે.
- બાળમેળાના અને લાઈફસ્કીલ મેળાનાં આયોજન માટે જીસીઈઆરટી દ્વારા શાળાદીઠ ૧૦૦૦ રૂ. ગ્રાન્ટ ફાળવામાં આવે છે.
- બાળમેળા માટે ધોરણ ૧ થી ૫ ના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને માટીકામ,કાગળકામ,ચીટકકામ,કાતરકામ,અભિનયગીત,બાળગીત વગેરે જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અને આનંદથી ભાગ લે છે.
લાઈફસ્કીલ મેળા માટે ધોરણ ૬ થી ૮ નાં ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામવિદ્યાર્થીઓ સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ચાલો શીખીએ, સ્વજાગૃતિ, સ્વચ્છતા અને સુશોભન, હળવાશની પળો,પર્યાવરણ જાણો,માણો અને જાળવો , સામાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ,સમૂહજીવન અને બાળપ્રદર્શન અને કમાણીનો આનંદ વગેરે જેવા વિભાગોમાં બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અને આનંદથી ભાગ લે છે અને ભવિષ્યમાં રોજગારીનું મેળવી શકે.
News & Events